વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે.


જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે

રેશનકાર્ડ લાભાર્થીને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.જે અંતર્ગત તુવેરદાળ, ચણા , ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પણે લાભ રેશનકાર્ડધારકો રાહતદરે મેળવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠા સાથે જન્માષ્ટમી અને દિવાળીનાં તહેવાર દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનો વિતરણ રાહતદરે કરવામાં આવે છે. જે સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે.

NFSA લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે

માહે નવેમ્બર-૨૦૨૫ માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનાં ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થનાર છે.

રૂ.૨૦,૦૦૦ કમિશનની તફાવતની રકમનો સમગ્ર ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે

વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજનાં જથ્થાનાં વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમનાં ભાગરૂપે રૂ.૨૦,૦૦૦ વાજબી ભાવની દુકાનનાં સંચાલકનાં બેંકખાતામાં નિયમિત પણે દર માસે ચુકવવામાં આવે છે. આ રૂ.૨૦,૦૦૦ કમિશનની તફાવતની રકમનો સમગ્ર ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજયમાં જ મિનિમમ રૂ.૨૦,૦૦૦ કમિશનની રકમ વાજબી ભાવના દુકાનદારોને ચુકવવામાં આવે છે. કમિશનની તમામ વિગતો વાજબી ભાવની દુકાનદારનાં લોગ ઇનમાં e-passbookમાં ઉપલબ્ધ છે. હાલની તેઓની મિનિમમ કમિશન રૂ.૩૦,૦૦૦ પ્રતિમાસની જે માંગણી છે તે નિતિ વિષયક છે.

આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી રેશનકાર્ડધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી

વાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચુકવણું દર માસે નિયમિતપણે સમયસર કરવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી તમામ કમિશનની રકમનાં ચુકવણાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા જે માંગણીઓ રજુ કરવામાં આવેલ છે. તે પૈકી ઘણી માંગણીઓ નિતિ વિષયક છે. જે રાજય સરકારનાં વિચારણા હેઠળ છે. અનાજનાં જથ્થાનાં વિતરણથી અળગા રહેવા બાબત આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી રેશનકાર્ડધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. જે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે ૮૦% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થવા ઠરાવેલ છે

વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઈપણ લાભાર્થી પોતાની પસંદગી મુજબ સમગ્ર રાજયમાં તથા સમગ્ર દેશમાં પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરીને અનાજનાં જથ્થાનો લાભ મેળવી શકે છે. આ યોજનાની અમલવારી શરૂ થયેથી ટોટલ ૧ કરોડથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભલીધેલ છે. જે બાબતે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીનાં માધ્યમથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો પહોંચે તે બાબતે મંત્રીશ્રીની સુચના અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ અથવા શહેરી તકેદારી સમિતિનાં સભ્યોનાં બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે ૮૦% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થવા ઠરાવેલ છે. જે અંતર્ગત મંત્રીશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક અંતર્ગત ઠરાવનાં અમલીકરણનાં તબક્કામાં જરૂરી પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે. જે પૈકી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી ઓછા માં ઓછાં ૫૦% સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી બેઇઝડ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાનાં રહેશે એમ નાયબ નિયામક,અન્ન નાગરિક પુરવઠા કચેરી,ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

  • Follow us on: