ગુજરાતે ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ ક્ષેત્ર બાદ હવે બાયોટેકનોલોજી ક્ષેત્રમાં પણ વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતમાં આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્યને વધુ તંદુરસ્ત બનાવવાં માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે તેમ સંવાદમાં સહભાગી થતા આદિજાતિ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું.
આદિજાતિ સમુદાયમાંથી ૨,૦૦૦ વ્યક્તિઓનું જીનોમ સિક્વનસિંગ કરવામાં આવશે
ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ટ્રાઇબલ જિનોમ પ્રોજેક્ટ અંગે સંવાદ યોજાયો હતો. મંત્રી ડિંડોરે કહ્યું હતું કે, વિજ્ઞાન અને પરંપરા વચ્ચેના પુલ તરીકે ટ્રાયબલ સમુદાયના સમૃદ્ધ અને આરોગ્યમય ભવિષ્ય તરફ આ પ્રોજેક્ટ એક નવો માઇલસ્ટોન સાબિત થશે. આ પ્રોજેક્ટ આદિજાતિ નાગરિકોના આરોગ્ય કલ્યાણ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ગુજરાતમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ થશે, આ પ્રોજેક્ટના ભાગરૂપે ગુજરાતનાં ૧૭ જિલ્લાઓમાંથી વિવિધ આદિજાતિ સમુદાયમાંથી ૨,૦૦૦ વ્યક્તિઓનું જીનોમ સિક્વનસિંગ કરવામાં આવશે.
એનાલિસિસ સુધીના તમામ તબક્કાઓમાં અત્યાધુનિક સંસાધનો ઉપયોગમાં લેવાશે
આ પ્રોજેક્ટના માધ્યમથી નૈસર્ગિક રોગ પ્રતિકારક શક્તિ, કેન્સર અને અન્ય વારસાગત રોગો જેવા કે સિકલ સેલ એનીમિયા, થેલેસેમિયા, વગેરેના જનીનિક ચિહ્નોની ઓળખ શક્ય બનશે. આ ઉપરાંત, તેમના હેલ્થપ્રોફાઇલને આધારભૂત આરોગ્ય સેવાઓ સાથે જોડાશે. આ સંવાદમાં તજજ્ઞોએ આદિજાતિ સમુદાયના આરોગ્ય માટે જિનોમિક માહિતીના મહત્વ પર ચર્ચા કરી હતી. ટ્રાયબલ જીનોમ પ્રોજેક્ટ એ માત્ર વૈજ્ઞાનિક પ્રયાસ નથી, પરંતુ આદિજાતિ સમુદાયના આરોગ્યમાં સ્થાયી સુધારા કેન્દ્રિત અભિયાન છે. જેમાં ટ્રાઇબલ સમુદાયના નમૂનાના ભૌતિક સંગ્રહથી લઈને ડેટા એનાલિસિસ સુધીના તમામ તબક્કાઓમાં અત્યાધુનિક સંસાધનો ઉપયોગમાં લેવાશે.
જીનોમિક ડેટાના અભાવની વિસંગતતાને દૂર કરવામાં મહત્વ પૂર્ણ ભાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ દરમ્યાન ‘Creation of Reference Genome Database for Tribal Population in Gujarat’ નામના પ્રોજેક્ટને મંજૂરી મળી છે જે અંતર્ગત ગુજરાતના આદિજાતિ સમુદાય માટે રેફરન્સ ડેટાબેઝ બનાવવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ આદિજાતિ સમુદાયના જીનોમિક ડેટાના અભાવની વિસંગતતાને દૂર કરવામાં મહત્વ પૂર્ણ ભાગ ભજવશે.
વૈજ્ઞાનિકો અને આદિજાતિ સમુદાયના પ્રતિનિધિઓ સહભાગી થયા
આ પ્રસંગે ગુજરાતના આદિજાતિ વિસ્તારના સાંસદો, ધારાસભ્યો, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાન્ડે, GSBTMના મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, GBRCના નિયામક પ્રો. ચૈતન્ય જોષી, આદિજાતિ વિકાસ નિયામક આશિષ કુમાર સહિત વૈજ્ઞાનિકો અને આદિજાતિ સમુદાયના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.