રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું છે.


સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે

આ કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી.તેમની રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીએ તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિના વિલંબે ભરણપોષણની રકમ મળે તેવો આદેશ કર્યો હતો. દરેક નાગરિકના પ્રશ્નો પ્રત્યે સરકાર સંવેદનશીલ છે.એમાંય સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે અને તેમના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓએ જનસામાન્યની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળવા તેમજ વંચિત,પીડિત અને વૃદ્ધ નાગરિકોની અરજીઓને પ્રાથમિકતા સાથે નિરાકરણ કરવા માટે તાકીદ કરી હતી.

વલસાડ જિલ્લાના 7 જેટલા ખેડૂતોને ન્યાય

મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના 7 જેટલા ખેડૂતોના ખેતરની માપણી અને સંપાદનના વળતર અંગે યોગ્ય ન્યાય મળે તે દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી.આ ઉપરાંત જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા તથા જમીન માપણીના પ્રશ્નો અંગે નાગરિકો પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી જિલ્લા વહીવટી તંત્રને કાર્યવાહી કરવા માટે પણ મુખ્યમંત્રીએ જરૂરી સૂચના આપી હતી.

રાજ્યભરના 115 કરતા વધુ અરજદારો હાજર રહ્યા

25 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરના 115 કરતા વધુ અરજદારો હાજર રહ્યા હતા તેમાંથી 14 જેટલા અરજદારોને મુખ્યમંત્રીએ રૂબરૂ સાંભળ્યા હતા.આ ઉપરાંત બાકી અરજીઓ અંગે સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન જિલ્લામાં યોજાયેલા 1321 અને તાલુકા સ્તરે યોજાયેલા 2616 સ્વાગત કાર્યક્રમોમાં મળેલી અરજીઓ અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

  • Follow us on: