મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યાં છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી બનતી ત્વરાએ પહોંચશે.


અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે

આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિવસ દરમિયાન રાજ્યના બધા જિલ્લા કલેક્ટર સાથે સંપર્ક કરીને તેમના જિલ્લામાં વરસાદી સ્થિતિ અને વાતાવરણમાં આવેલા બદલાવ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી અને સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને પણ જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટે સૂચનાઓ આપી હતી.

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો

રાજ્યમાં થયેલા માવઠાને કારણે અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તાને નુકસાન પહોંચ્યું છે. ક્યાંક કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો ક્યાંક નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. મગફળી, કપાસ, સોયાબિન, ડાંગર સહિતના પાકોનો સોથ વળી ગયો છે. તૈયાર થયેલો પાક ઉતારવાની તૈયારી હતી અને માવઠું થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.


  • Follow us on: