આજે ગુજરાતના સપૂત, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું અને તેમની રાષ્ટ્રભક્તિને વંદન કર્યા હતા. સમગ્ર રાજ્યમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવાતી આ જન્મજ્યંતી નિમિત્તે ગાંધીનગરના રાજકીય માહોલમાં સરદાર સાહેબના આદર્શો અને મૂલ્યોની ચર્ચા કરવામાં આવી હતી.


વૈશ્વિક પડકારો સામે સરદાર સાહેબનો સંદેશ

CM ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર સાહેબનું જીવન રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, 'સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું એ સૌ નાગરિકોનું કર્તવ્ય છે.' સીએમએ ઉમેર્યું કે વર્તમાન સમયમાં વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો 'ઐક્ય ભાવના'નો સંદેશ દુનિયા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. ભારતને એકસૂત્રે બાંધવાના તેમના અજોડ કાર્યને યાદ કરીને CMએ જણાવ્યું હતું કે આજે દેશને સરદાર સાહેબના બતાવેલા માર્ગ પર ચાલીને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

તમામ નાગરિકો એકતાનો સંકલ્પ લે

CM ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર અવસર પર રાજ્યના તમામ નાગરિકોને એકતાનો સંકલ્પ લેવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે સરદાર સાહેબે જે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, તેને વધુ વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની જવાબદારી આપણી સૌની છે. સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારીને આપણે એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ. વિધાનસભા ખાતે યોજાયેલી આ ઉજવણીમાં સૌએ એકજુથ થઈને રાષ્ટ્રનિર્માણ અને એકતા જાળવવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. આ દિવસ ગુજરાત અને સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવ અને પ્રેરણાનો દિવસ બની રહ્યો.


  • Follow us on: