રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સાતમ-આઠમના તહેવારની મજા બગડી હતી અને ખાસ કરીને મેળાના સંચાલકો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આજે સાતમનો પવિત્ર દિવસ હોવાથી ગોંડલ શહેર અને આસપાસના તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવ્યા હતા.


શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

પરંતુ રજાના બીજા દિવસે પણ વરસાદ પડતા લોકોમાં નિરાશા જોવા મળી હતી. આ પહેલા પણ મેળાની રાઈડ્સ શરૂ ન થવાથી લોકો નિરાશ થયા હતા અને હવે વરસાદે તેમની નિરાશામાં વધારો કર્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે મેળાના મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આને કારણે મેળામાં મજા માણવા આવેલા લોકો અટવાઈ ગયા હતા. મેળામાં સ્ટોલ અને રાઈડ્સમાં મોટા પ્રમાણમાં રોકાણ કરનારા વેપારીઓ માટે આ વરસાદ આર્થિક નુકસાનની ભીતિ લઈને આવ્યો હતો.

પાણી ભરાતા મેળા સંચાલકો ચિંતામાં

જો વરસાદ ચાલુ રહેશે તો તેમની કમાણી પર મોટી અસર થશે. આ વરસાદ ખેતી માટે સારો હોવા છતાં તહેવારોના માહોલને બગાડી રહ્યો છે. લોકોએ આશા રાખી હતી કે આ વર્ષે તેઓ મેળા અને તહેવારોની પૂરેપૂરી મજા માણી શકશે. જોકે કુદરતના મિજાજ સામે કોઈનું ચાલતું નથી. હાલ લોકો અને વેપારીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ વિરામ લે જેથી તેઓ તહેવાર અને મેળાની ઉજવણી સારી રીતે કરી શકે.


  • Follow us on: