રાજકોટ ગોંડલમાં યોજાયેલો લોકમેળો તેની શરૂઆતથી જ વિવાદમાં અને નિરાશાના વાતાવરણમાં ઘેરાયેલી છે. ભવ્ય લોકાર્પણ બાદ પણ આ મેળામાં રાઇડ્સ બંધ રહેતા લોકોમાં ભારે નિરાશા ફેલાઈ છે. સામાન્ય રીતે લોકમેળાનું મુખ્ય આકર્ષણ તેની રંગબેરંગી રાઇડ્સ હોય છે, પરંતુ ગોંડલના મેળામાં રાઇડ્સ બંધ રહેવાને કારણે મેળાની રોનક સંપૂર્ણપણે ફિક્કી પડી ગઈ છે. બાળકો અને યુવાનો જે રાઇડ્સની મજા માણવા માટે ઉત્સુક હતા તેઓને નિરાશ થઈને પાછા ફાટવું પડ્યું છે. જેના કારણે મેળાનો માહોલ આનંદમય રહેવાને બદલે શુષ્ક બની ગયો છે.


કલેક્ટરે મંજૂરી નથી આપી...!

રાઇડ્સ બંધ રહેવાનું મુખ્ય કારણ કલેક્ટર તરફથી હજુ સુધી મંજૂરી ન મળવું છે. લોકમેળાનું લોકાર્પણ થઇ ગયું હોવા છતાં રાઇડ્સના સંચાલકોને કલેક્ટર કચેરી તરફથી કોઈ પ્રકારની મંજૂરી મળી નથી. આ અટવાયેલી પ્રક્રિયાને કારણે બીજા રાજ્યોમાંથી આવેલા રાઈડ સંચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેઓ દૂર-દૂરથી ગોંડલમાં વેપાર કરવા આવ્યા છે, પરંતુ મંજૂરીના આભાવે તેમની રોજીરોટી અટકી ગઈ છે. આ સંચાલકોને દરરોજ મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે અને તેઓ ક્યારે મંજૂરી મળશે તેની રાહ જોઈ રહ્યા છે.

લોકમેળાના આયોજન પર ગંભીર સવાલો

આ સમગ્ર ઘટના ગોંડલના લોકમેળાના આયોજન પર ગંભીર સવાલો ઉભા કરે છે. જો મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો પછી જરૂરી મંજૂરીઓ પહેલાથી જ કેમ ન લેવામાં આવી? આ પ્રકારની બેદરકારીને કારણે માત્ર રાઈડ સંચાલકો જ નહીં પરંતુ ગોંડલના વેપારીઓ અને સ્થાનિક લોકો પણ પરેશાન છે. આ ઘટના મેળાની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ જેથી લોકોમેલો ફરીથી તેના રંગમાં આવી શકે અને લોકો તેની મજા માણી શકે.


  • Follow us on: