રાજ્યમાં બે દિવસથી ડિપ્રેશનની સ્થિતિના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. સોમવારે રાત્રે પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરુચ સહિતના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો.


ધોરાજીમાં મોડી રાતે કમોસમી વરસાદ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોને મોટું નુકશાન પણ સહન કરવું પડ્યું છે અને કપાસ મગફળી સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયું છે.

જંબુસરમાં પવન સાથે વરસાદ

તો બીજી તરફ જંબુસરમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે પવન સાથે જંબુસર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ રાત્રે વરસાદ

ઉપરાંત રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ,ગોંડલ રોડ, ઢેબર રોડ,મવડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ મધ્ય અને પૂર્વ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો હતો અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોધીકા,પડધરી અને રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

વડોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ

તો સોમવારે રાત્રે વડોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના શહેરમાં પાણી ભરાયા હતા. રાત્રે ધોધમાર વરસાદને પગલે જેતલપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. નટરાજ ટાઉનશીપનું ગરનાળુ અને કડક બજારના પાછળના રોડ પર પણ પાણી ભરાયા હતા. જેતલપુર ગરનાળામાં પાણી ભરાતા પીકપવાન ફસાઈ હતી જેને મહામહેનતે બહાર કઢાઇ હતી.

અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ

 વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ પશ્ચિમ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. રાત્રે નરોડા , નિકોલ, ઇસનપુર, જશોદાનગર, સીટીએમ, નારોલ, ખોખરા, મણિનગર, હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલ, રાયપુર, દરીયાપુર, શાહપુર, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો બોડકદેવ , વસ્ત્રાપુર, જજીસ બંગલો, શિવરંજિની , ઇસ્કોન, ઘુમા, સોલા, ચાંદલોડિયા, ચાંદખેડા અને શીલજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે પણ અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 6.85 ઈંચ, ઊનામાં 5.55 ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ, લીલીયામાં 5.39 ઈંચ વરસાદ વરસ્યો છે તો ગીર ગઢડામાં 5.16 ઈંચ, પાટણવેરાવળમાં 4.93 ઈંચ, સાવરકુંડલામાં 4.88 ઈંચ, કોડીનારમાં 4.84 ઈંચ વરસાદ, ખાંભામાં 4.80 ઈંચ, વડોદરામાં 4.80 ઈંચ વરસાદ, તળાજામાં 4.65 ઈંચ, વલ્લભીપુરમાં 4.17 ઈંચ વરસાદ, બારડોલીમાં 4.17 ઈંચ, મેઘરજમાં 3.86 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 3.74 ઈંચ, વાગરામાં 3.58 ઈંચ વરસાદ નોંધાયો છે. 

  • Follow us on: