ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને લઈને કિસાન સંઘના આકરા તેવર જોવા મળ્યા. ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમલભાઈ આર્યએ કહ્યું કે આપણા વેદોમાં 16 સંસ્કારનું મહત્વ છે. પરંતુ અત્યારે લગ્નને લઈને યુવાનોમાં ગંભીરતા જોવા મળતી નથી. પ્રેમના મોહમાં આવીને લગ્ન કરે છે અને મોહ ભંગ થતા લગ્ન તૂટે છે. અને એટલે જ લગ્ન રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાને લઈને ગુજરાત કિસાન સંઘ દ્વારા માગ કરવામાં આવી છે. આ મામલે અમે સરકારને પણ રજૂઆત કરી છે. જો સરકાર આ બાબતે નહીં વિચારે તો ગુજરાત કિસાન સંઘ રોડ પર આવી શકે તેવી પ્રદેશ અધ્યક્ષે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે.
લગ્ન રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાની માગ
સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કિસાન સંઘના પ્રમુખે કહ્યું કે આપણે બધા સનાતન ધર્મ અને સનાતનની રીતમાં માનનારા લોકો છીએ. કિસાન સંઘ ગામડા સાથે જોડાયેલો છે. કિસાન સંઘ હંમેશા ખેડૂતોની સમસ્યાને વાચા આપે છે. આ ખેડૂતો ગામડાઓમાં વસે છે. ગામડાઓ જ આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આજે દિકરીઓ અન્યોની વાતમાં આવી દોરવાઈ જાય છે. અને દિકરીઓ સાથે લગ્નના નામે છેતરપિંડી થાય છે. પ્રેમલગ્ન બાદ અનેક બહેન-દીકરીઓનું જીવન દુશ્કર બને છે. અને એટલે ગામ સમિતિએ દિકરીઓના લગ્નમાં માતા-પિતાની મંજૂરી જરૂર હોવી જોઈએ તેવી માગ કરી છે. પ્રમુખ કહ્યું કે અમે ગામ સમિતિના ઊઠેલા આ અવાજનું અમે સ્ટેન્ડ લીધું છે.













