દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. માત્ર 6 દિવસના ટૂંકાગાળામાં જ અંદાજે 4,65,000 (ચાર લાખ પાંસઠ હજાર) જેટલા શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ યાત્રિકો માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દ્વારકા પધાર્યા હતા, જેના કારણે સમગ્ર દ્વારકા નગરીમાં ભક્તિમય અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.
વહીવટી તંત્ર અને પોલીસની સુંદર વ્યવસ્થા
આટલી મોટી સંખ્યામાં યાત્રિકોનું આગમન થયું હોવા છતાં, તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉમદા વ્યવસ્થાના કારણે સમગ્ર યાત્રા ખૂબ જ સરળતાથી સંપન્ન થઈ હતી. વહીવટી તંત્ર અને દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે સંયુક્તપણે ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી, જેથી 4.65 લાખ જેટલા લોકો સરળતાથી અને શાંતિથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શક્યા. ખાસ કરીને, વૃદ્ધો અને દિવ્યાંગ યાત્રિકોની સુવિધા માટે તંત્રએ વિશેષ વ્યવસ્થા કરી હતી, જેના કારણે તેમને કતારમાં ઊભા રહેવામાં રાહત મળી હતી.













