જામનગરમાંથી પશુ ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગોરધનપરનો શખ્સ ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી દંડ ભરી ત્રણ ગાયો ઉપાડી ગયો હતો. જે ગાયો વાહનમાં લઈને જતો હતો આ વેળાએ ગાયોના સાચા માલિકનો ભેટો થઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જેના આધારે બીજાની ગયોનો દંડ ભરીને લઈ જનાર એક પશુ માલિકની અટકાયત કરી લેવાઈ છે. સાથે જ ઢોરવાડામાંથી છોટા હાથીમાં લઈ જવાતી ત્રણ ગાયો અને છોટાહાથી વાહન વગેરે પોલીસે કબજે કરી લીધા છે.


ખોટી ઓળખ આપી આવી મોટી છેતરપિંડી

જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની પાછળ રહેતા રોહિત પપ્પુભાઈ ભરવાડ, કે જેની માલિકીની રસ્તે રઝળતી ત્રણ ગાયોને જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવી હતી અને બેડેશ્વર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન ઢોર માલિક રોહિત ભરવાડ મહાનગરપાલિકાની કચેરીમાં આવ્યો હતો, જ્યાં મહાનગરપાલિકાના અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજાને દંડની રકમ ભરીને પોતાની ગાયો છોડાવવા માટેની માંગણી કરી હતી. જેથી રાજભા જાડેજા દ્વારા તેને ઢોરના ડબ્બામાં લઈ જવામાં આવ્યો હતો, અને પોતાની ત્રણ ગાયોને શોધી લેવા માટે કહ્યું હતું.

સાચા માલિકે રસ્તામાં પર્દાફાશ કર્યો

આ તરફ તેણે બેડેશ્વરના ઢોરના ડબ્બામાંથી ત્રણ ગાયો પોતાની છે, તેમ કહીને ત્રણ ગાય છોડાવી હતી અને ત્રણેય ગાય જી.જે.એ.એક્સ 3475 નંબરના છોટા હાથી વાહનમાં ભરી અને ઢોરને ડબ્બેથી લઈ જઈ રહ્યો હતો. જે દરમિયાન રસ્તામાં વિજય ડાયાભાઈ રાતડીયા કે જે પણ પોતાની ગાય છોડાવવા માટે આવી રહ્યો હતો અને તેણે છોટાહાથીમાં પોતાની ગાયો જોઈ હતી. જેથી તે વાહનને અટકાવ્યું હતું અને મહાનગરપાલિકાના અધિકારી રાજભા જાડેજાને જણાવ્યું હતું, કે રોહિત ભરવાડ જે ત્રણ ગાયો લઈ જઈ રહ્યો છે, તે ગાય તો પોતાની માલિકીની છે. મહાનગર પાલિકા સાથે છેતરપિંડી કરીને બીજાના પશુઓ છોડાવીને ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યો છે, તેમ જણાવી સમગ્ર મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જ્યાં ઓળખની વિધી પૂરી થઈ ગયા બાદ મનપાના અધિકારી રાજભા જાડેજાએ ઢોરના ડબ્બામાં ખોટી ઓળખ આપી અન્ય પશુ માલિકની ત્રણ ગાયને લઈ જનાર રોહિત ભરવાડ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: