જામનગરથી માત્ર 12 કિમીના અંતરે અને જામનગર રાજકોટ હાઈવેથી માત્ર 2 કિલોમીટર અંદર છે અને ગલ્ફ ઓફ કચ્છના કિનારે ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આ પક્ષી અભયારણ્ય આજથી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જેને જામનગરની ઓળખને વિશ્વભરમાં ચમકાવી છે. ચોમાસાની ઋતુ પક્ષીઓ માટે બ્રીડિંગ અને નેસ્ટિંગ માટે પરફેક્ટ વાતાવરણ હોવાથી સરકાર દ્વારા ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.


અભ્યારણમાં પક્ષીઓ નિહાળવાએ અદ્ભુત લ્હાવો

જે હાલ શિયાળાની શરૂઆતની સાથે જ પ્રવાસી માટે ખુલ્લું મુકાયું છે. ખીજડીયા પક્ષી અભ્યારણમાં પહોંચવા માટે પ્રવાસીઓને કેમ્પસ પર જ બુકિંગ ઓફિસ આવેલી છે અને ત્યાંથી જ ઓન ધ સ્પોટ ટિકિટ આપવામાં આવે છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 4 મહિનામાં પક્ષીઓ નિહાળવાએ અદ્ભુત લ્હાવો હોય છે. ત્યારે સવારના 06:00 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી પક્ષી અભ્યારણ્યમાં બુકિંગ મળી શકે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અહીં મીઠાપાણી અને ખારાપાણીના એમ બે પ્રકારના જલપ્લાવિત વિસ્તારો અરસ-પરસ આવેલા છે.

સાસણ ગીર પણ 10 દિવસ વહેલું ખુલ્લું મુકવામાં આવ્યું

આ અભ્યારણ બે પાર્ટમાં વહેંચાયેલું છે. જેમાં ખારા અને મીઠા પાણીના ઝરા આવેલા હોવાથી બંને પ્રકારના પક્ષીઓને અનુકૂળ આવે છે. આ સાથે રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી અને વન પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ મીડિયા સમક્ષ વાતચીતમાં તેઓઓ જણાવ્યું કે ગઈકાલથી જામનગરનું ખીજડીયા પક્ષી અભ્યારણ, બરડા અભ્યારણ અને સાસણ ગીર પણ 10 દિવસ વહેલું ખુલ્લું મુકવામાં આવ્યું છે, પક્ષી પ્રેમીઓ અને ટુરિસ્ટોનું બુકીંગ ઓનલાઈન શરુ થયું છે. ત્યારે આ ત્રણેય સ્થળની મુલાકાત લે તેવી મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતની સાથે જ અહીં દેશ વિદેશના પક્ષીઓનું આગમન થતું હોય છે. આ સ્થળે 8 પ્રકારની ઈકો સિસ્ટમ હોવાથી પક્ષીઓને ખૂબ અનુકૂળ આવે છે. જેથી 334 પ્રકારના પક્ષીઓ મહેમાન બનતા હોય છે. આ પક્ષીઓ જ અભ્યારણની શોભામાં વધારો કરે છે.

  • Follow us on: