જસદણના ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં છેલ્લા 630 વર્ષથી મંદિરની પૂજા-અર્ચના કરનાર ભટ્ટ પરિવારે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરીને ઉપવાસ, આંદોલન પર ઉતર્યા છે. ભટ્ટ પરિવારનો આક્ષેપ છે કે વર્ષોથી મંદિરની સેવા કરતા હોવા છતાં તેમનો સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ નિર્ણયથી તેમને ભારોભાર અન્યાય થયો હોય તેવુ અનુભવાય છે. આ મામલે ભટ્ટ પરિવારે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું.


630 વર્ષ જૂની પરંપરા અને અધિકારો છીનવાયા

આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ નક્કર ઉકેલ ન આવતા આખરે તેમણે ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. ભટ્ટ પરિવારનો દાવો છે કે જસદણ પ્રાંત દ્વારા લેવાયેલો નિર્ણય તેમને માન્ય નથી. આ નિર્ણયના કારણે તેમની 630 વર્ષ જૂની પરંપરા અને અધિકારો છીનવાઈ રહ્યા છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેમને ટ્રસ્ટમાં યોગ્ય સ્થાન નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમાજમાં ચિંતાનું વાતાવરણ

આ ઉપવાસ આંદોલનને કારણે ઘેલા સોમનાથ મંદિરના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમાજમાં ચિંતાનું વાતાવરણ છવાયુ છે. એક તરફ મંદિરની પ્રાચીન પરંપરા અને પૂજા-વિધિની અખંડિતતાનો સવાલ છે તો બીજી તરફ આંદોલનકારી પરિવારને ન્યાય મળે તે પણ જરૂરી છે. આ મામલો વહેલી તકે ઉકેલાય અને મંદિરની શાંતિ જળવાઈ રહે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે હવે જોવું રહ્યું.


  • Follow us on: