રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી એક ખાનગી હોસ્ટેલની હૃદયકંપાવનારી બેદરકારી સામે આવી છે, જેમાં માત્ર 9 વર્ષની માસૂમ દીકરી આયુષીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જસદણમાં આવેલી 'આલ્ફા હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર' સામે બાળકીના પરિવારે સમયસર સારવાર ન આપવાનો અને દીકરીની બીમારી છુપાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ હોસ્ટેલમાં સૈનિક સ્કૂલ તેમજ નવોદય વિદ્યાલયની પરીક્ષાઓ માટે ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવે છે, જ્યાં ભાવનગરના પરિવારે ગત એપ્રિલ મહિનામાં જ પોતાની વ્હાલસોયી દીકરી આયુષીનું એડમિશન કરાવ્યું હતું.


પોતાના માતા-પિતા સાથે વાત કરવા દેવામાં આવતી નહોતી

મળતી વિગતો અનુસાર, આ હોસ્ટેલના કડક નિયમોના નામે એડમિશન બાદ બાળકોને પોતાના માતા-પિતા સાથે વાત કરવા દેવામાં આવતી નહોતી. 24 જૂનના રોજ બપોરે અચાનક હોસ્ટેલ પ્રશાસન દ્વારા આયુષીના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી કે, "તમારી દીકરીની તબિયત ખરાબ છે, તમે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચો." જ્યારે પિતા ચિંતાતુર વદને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે દીકરીનો મૃતદેહ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

સતત તાવ આવતો હતો

હોસ્ટેલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, આયુષીને થોડા દિવસો પહેલા શીતળા (ચિકનપોક્સ) નીકળ્યા હતા અને સતત તાવ આવતો હતો. આટલી ગંભીર બીમારી હોવા છતાં હોસ્ટેલ દ્વારા બાળકીના માતા-પિતાને કોઈ જાણ કરવામાં આવી નહોતી. 

તબીબોએ તેને મૃત જાહેર કરી

સંચાલકોનો દાવો છે કે આયુષી સાજી થઈ ગઈ હતી, પરંતુ બપોરે અચાનક તબિયત લથડતા તેને પહેલા જસદણની હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટની સિનર્જી હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાંથી તેને સિવિલ રિફર કરાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હોસ્ટેલની આ ઘોર બેદરકારીથી એક માસૂમનો જીવ ચાલ્યો ગયો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ સંચાલકો સામે કેવા કડક પગલાં ભરે છે.


આ પણ વાંચો----   Venezuela Earthquake: વેનેઝુએલામાં 7.5 અને 7.1 ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, Video

  • Follow us on: