જૂનાગઢના પ્રસિદ્ધ જટાશંકર જંગલમાં આજે અચાનક ધોધમાર વરસાદ પડતા 150 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. જોકે વન વિભાગની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રવાસીઓ જંગલમાં કુદરતી સૌંદર્ય અને ધોધનો આનંદ માણવા પહોંચ્યા હતા. ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.


ધોધમાર વરસાદ પડતા પ્રવાસીઓ ફસાયા હતા જંગલમાં

ધોધમાર વરસાદને કારણે જંગલમાંથી પસાર થતા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને તેના પ્રવાહમાં અચાનક વધારો થઈ ગયો હતો. જેના કારણે પ્રવાસીઓ એક તરફ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. પ્રવાસીઓના ફસાઈ જવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

તમામ 150 પ્રવાસીઓને હેમખેમ બહાર કઢાયા

વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. સાહસિક બચાવ કામગીરી દ્વારા તમામ 150 પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. વન વિભાગના આ ઝડપી અને સફળ રેસ્ક્યુ ઓપરેશનની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વરસાદી વાતાવરણમાં જંગલ કે ધોધ જેવા સ્થળોની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવી કેટલી જરૂરી હોય છે.


  • Follow us on: