જૂનાગઢ જિલ્લામાં જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. આ બાબત અતી ગંભીર છે. લોકો જળાશયો, નદી ,તળાવ, નહેર, દરિયામાં ન્હાવાના શોખીન હોય, આવી કોઈ પણ પ્રકારની આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવી જરૂરી છે. જેથી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે જૂનાગઢ જિલ્લામાં આવેલ 37 સ્થળોએ કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
37 સ્થળોએ કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ
આ જાહેરનામા મુજબ જૂનાગઢ શહેરમાં વીલંગ્ડન ડેમ, વાઘેશ્વરી તળાવ ગણેશનગર, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, દામોદર કુંડ, નારાયણ ધરા, જટાશંકર જંગલ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં બાદલપુર ડેમ,ભેંસાણમાં ઉબેણ ડેમ, ઓજત નદી પર ગુજરીયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, જૂનાગઢ ગ્રામ્યમાં હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ,મેંદરડા માં મધુવંતી નદી, વિસાવદરમાં અંબાજળ ડેમ સતાધાર,ધા્ફડ ડેમ સરસઈ, ઝાંઝેશ્રી ડેમ, મહુડા મહુડી ડેમ,કેશોદમાં ઓઝત નદી, ટીલોળી નદી, નોળી નદી, શાબરી, મધુવતી નદી, વંથલીમાં શાપુર ઓજત, ખોરાસા ડેમ, માણાવદરમાં બાંટવા ખારો ડેમ, માણાવદરમાં ભાદર (વેકરી ગામ), ઓઝત (આંબલીયા ગામ), ભાદર નદી (સરાડીયા ગામ), ઓઝત નદી (કોયલાણા ગામ, મટીયાણા ગામ), કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદી, માળીયાહાટીનામાં ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુલ, વડીયા ગામ કોઝવે, કાત્રાસા ગામ કોઝવે, મેઘલ નદી જેમાં સમઢીયાળા ગામ પાસે આવેલ ચેકડેમ પર કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ પ્રતિબંધ રહેશે.
3 ઓકટોબર સુધી અમલમાં રહેશે જાહેરનામું
આ જાહેરનામું 5 ઓગસ્ટથી 3 ઓકટોબર સુધી અમલમાં રહેશે. જેમાં ખાસ કરીને પવિત્ર દામોદર કુંડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને ભારે ચર્ચા જાગી છે. અહીં પિતૃ તર્પણ કરવા અને સ્નાન વિધિ માટે આવતા હજારો ભાવિકોને અસર કરી શકે તેમ છે, જે અંગે ખરેખર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જાહેરનામાના સ્થળોનું ફરીથી ખરાઈ કરીને જાહેરાત કરવામાં આવે તેવી માગ ઉઠી છે.