જૂનાગઢ એસટી ડિવીઝનમાં આવતા બે એસટી ડેપોના બે ડેપો મેનેજર અને વર્કશોપના બે હેડ મિકેનિકને વિભાગીય નિયામક દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતા એસટી વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.છેલ્લા કેટલાયે સમયથી બસના ડ્રાઈવરો અને મુસાફરોની ફરિયાદને પગલે આ એક્શન લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.


કિશોર સાગઠીયાને વિભાગીય નિયામકે સસ્પેન્ડ કર્યા

જૂનાગઢ એસટી ડેપોના મેનેજર વી.એમ.મકવાણા, તેમજ અહીના વર્કશોપના હેડ મિકેનિક આનંદ પરબીયા તેમજ જેતપુર એસટી ડેપોના મેનેજર રામકુભાઈ ગીડા અને ત્યાના વર્કશોપના હેડ મિકેનિક કિશોર સાગઠીયાને વિભાગીય નિયામક દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સસ્પેન્ડ પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાયે સમયથી એસટી બસના અનેક ડ્રાઈવરો અને મુસાફરોની ફરિયાદો મળી હતી કે, એસટી બસ જયારે વર્કશોપમાંથી રૂટ ઉપર આપવામાં આવે ત્યારે તેમાં સ્વચ્છતામાં બેદરકારી દાખવવામાં આવતી હતી.

એસટી બસોમાં તો ટાયરના જોટા બદલી નાખવામાં આવતા

તેમજ સાથે અમુક એસટી બસોમાં તો ટાયરના જોટા બદલી નાખવામાં આવતા હતા, અને અમુક સમયે રોડ ઉપર અકસ્માત સર્જાય તેવી ભીતિ થાય તેવી હાલતમાં એસટી બસ સોપવામાં આવતી હોવાનું ગંભીર બેદરકારી ધ્યાને આવતા આખરે મુસાફરોની સલામતી અને આરોગ્યની જાળવણી માટે એસટી વિભાગના ઉચ્ચ કક્ષાએથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી અન્ય ડેપોમાં પણ આવી બેદરકારી દાખવતા કર્મચારીઓ સચેત બને છે, તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.

એસટી બસ પરનો ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો

થોડા કેટલાક દિવસોમાં અનેક એવી ઘટનાઓ પણ સામે આવેલી છે, જેમાં તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ઝાંસીના સર્કલ તરફ જતી પોરબંદર રૂટની એક એસટી બસ પરનો ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, ખરા સમયે બ્રેક ના લાગતા એક રીક્ષા અને એક કાર સાથે બસની ટક્કર લાગી હતી, જેમાં એક મહિલાને હાથમાં ફ્રેકચર પણ આવ્યું હતું, તે ઘટનામાં હજુ ડ્રાઈવર સામે ખાતાકીય ઇન્ક્વાયરી ચાલી રહી છે, તો બીજી ઘટના જ્યાં વિસાવદર-જૂનાગઢ રૂટની એસટીની બ્રેક ફેલ થતા બસ માંડણપરા પાસે ઝાડ સાથે અથડાઈ હતી.


  • Follow us on: