જૂનાગઢ શહેર સહિત સમગ્ર ગિરનાર વિસ્તારમાં સંત મહાદેવ ભારતી ગુમ થયા હોવાનો મામલો ખૂબ જ ગરમાયો છે. મહાદેવ ભારતીના અચાનક ગુમ થવાને કારણે તેમના અનુયાયીઓ અને સંત સમાજમાં ભારે ચિંતા અને દુઃખની લાગણી પ્રવર્તી રહી છે. આ સમગ્ર ઘટના અંગે મહાદેવ ભારતીના ગુરુભાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગુરુભાઈએ મીડિયા સમક્ષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમારા ગુરુભાઈ મહાદેવ ભારતીની આ ઘટનાથી અમારા બાપુ ખૂબ જ ચિંતિત છે.


મહાદેવ ભારતીના ગુરુભાઈ ભારતીની પ્રતિક્રિયા

સૌને આ બાબતની જાણ થતાં અમે ભારે દુઃખની લાગણી અનુભવીએ છીએ. મહાદેવ ભારતી ગુમ થવાથી અમારા આશ્રમ અને સમગ્ર સંત સમાજમાં શોકનું વાતાવરણ છે. ગુરુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે પોલીસ તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક અસરથી અને સઘન રીતે અમારા બાપુની શોધખોળ કરીને તેમને સહી-સલામત શોધી આપે. આ સમગ્ર મામલો ખૂબ જ ગંભીર છે અને અમે વહેલી તકે તેમના સમાચાર મળે તેની રાહ જોઈ રહ્યા છીએ.

કોઇ ખોટી અફવામાં આવવું નહીં: મહાદેવ ભારતીના ગુરુભાઈ

આ સાથે જ તેમણે મહાદેવ ભારતીના અનુયાયીઓને અને લોકોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોમાં ચાલતી કોઈ પણ ખોટી અફવામાં કોઈએ આવવું નહીં કે તેને સાંભળવું નહીં. અમે સત્તાવાર રીતે જે માહિતી આપીશું તેના પર જ વિશ્વાસ રાખવો. મહાદેવ ભારતી ગુમ થવાના આ સંવેદનશીલ બનાવને પગલે પોલીસે પણ ગુમ થયેલા સંતની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


  • Follow us on: