જૂનાગઢ પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી ગઈ હતી.બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતાં આશ્રમની આંતરિક બાબતોનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.બાપુને શોધવા માટે પોલીસ સક્રિય થઈ હતી. આખરે ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી અશક્ત હાલતમાં ઈટવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા હતાં.


બે દિવસ પરિવાર સાથે રહ્યા હતા મહાદેવ ભારતી

મહાદેવ ભારતીને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ત્યાં સારવાર બાદ તેમને રજા અપાઈ હતી.આ દરમિયાન ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ તેમને તમામ હોદ્દા પરથી હટાવી દીધા હતાં અને રાજ્યના કોઈપણ ભારતી આશ્રમમાં તેમને પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ મહાદેવ ભારતી પોતાના પરિવાર સાથે રહેવા ગયા હતાં. જસદણના સાણથલી ગામમાં તેમના પરિવાર સાથે તેઓ બે દિવસ રહ્યા હતાં.

મહાદેવ ભારતી બાપુ ગુમ થતા પરિવારજનો ચિંતામાં

મહાદેવ ભારતી પોતાના પરિવાર પાસે જસદણના સાણથલી ગામમાં રહેતા હતાં. હવે ત્યાંથી પણ તેઓ ગુમ થઈ ગયા છે. તેઓ વહેલી સવારે જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા છે. તેમના પરિવારજનોમાં ફરી ચિંતા ફરી વળી છે. અગાઉ મહાદેવ ભારતીને શોધવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને ગીરનારના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને ઈટાવા ઘોડી વિસ્તારમાંથી તેઓ અશક્ત હાલતમાં મળી આવ્યા હતાં. ત્યારે હવે ફરીવાર તેઓ ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. 

  • Follow us on: