જૂનાગઢ જિલ્લામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. લુખ્ખાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, હવે આવા આવારા તત્વો લોકોના ઘરોમાં ઘૂસી જઈ તોડફોડ કરી ઘરવખરીને નુકસાન કરતા હોવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વંથલી તાલુકાના નાદરખી ગામે બન્યો છે.


આવાર તત્વોએ દાદાગીરી કરીને ઘર છોડી ચાલ્યા જવાની ધમકી આપી

વંથલી તાલુકાના નાદરખી ગામે મારામારી અને તોડફોડનો બનાવ બન્યો છે, જેમાં 2 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગત 25 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં બની હતી. જેમાં આરોપીઓ દ્વારા ફરિયાદીના ઘરે જઈ અને ઘરમાં તોડફોડ કરી સામાન વેરવિખેર કરી નાખ્યો તો અને દાદાગીરી કરીને ઘર છોડી ચાલ્યા જવાની ધમકી આપી હતી. વંથલી નાંદરખી ગામે રહેતા હમીરભાઈ વાલજીભાઈ પાટડીયા (ઉં.વ. 56)એ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી જયદીપભાઈ સામતભાઈ ભારાઈ અને તેમની સાથે આવેલા એક અજાણ્યા માણસે હમીરભાઈના ઘરે આવીને મારામારી અને તોડફોડ કરી હતી.

વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

આરોપીઓએ સોનલબેન કાનજીભાઈ પાટડીયા અને તેમના માતા કંચનબેન કાનજીભાઈ પાટડીયાને ગાળો આપી હતી અને તેમને ઢીંકા-પાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત, તેઓ ઘરમાં ઘૂસીને ઘરવખરીના સામાનને ભાંગી-તોડીને નુકસાન પહોંચાડયુ હતું. આ ઘટના અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વંથલી પોલીસ દ્વારા આ મામલે કલમ 115(2), 296(ખ), 324(1) અને 329(3) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આવા લુખ્ખાઓને તાત્કાલિક પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.

  • Follow us on: