ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. 7,901 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. 40 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા.


યુવાઓને વિકસિત, સ્વદેશી, આત્મનિર્ભર ભારતના નિમાર્ણમાં સહભાગી બનવા જણાવ્યું

આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિએ તેમને નમન કરતા જણાવ્યું હતું કે કચ્છના સપુત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને પણ દેશવીરો તૈયાર કર્યા હતા, તેઓ દેશભક્તિની મિશાલ હતા. તેઓના અસ્થિને વડાપ્રધાને ભારત લાવી તેમના વતનમાં તેમનું સ્મારક ઉભું કરી તેમને અદકેરું સન્માન આપ્યું છે. શ્યામજી કૃષ્ણવર્માનું જીવન યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાવીને રાજયપાલે યુવાઓને ભારતના વિકાસમાં સહયોગ આપવા સત્યપાલન, ધર્મપાલન, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. યુવાઓને વિકસિત, સ્વદેશી, આત્મનિર્ભર ભારતના નિમાર્ણમાં સહભાગી બનવા જણાવ્યું હતું. તેમણે ઉમેયું હતું કે, 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવાની જવાબદારી યુવાઓ પર છે. ત્યારે માત્ર વૈજ્ઞાનિક દષ્ટિકોણ નહીં પરંતુ સાંસ્કૃતિક વિરાસત પણ આગળ ધપે તે જોવાની જવાબદારી યુવાવર્ગની છે. તેમણે છાત્રોને અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી.

વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિકાસના પથ પર દોડી રહ્યું છે

દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જડ અને ચેતન બંનેની રક્ષા કરવા જણાવીને ઉમેર્યું હતું કે, પ્રકૃતિના મૂળભૂત તત્વો જડ તથા માતા-પિતા ચેતન છે. બંનેનું જતન કરવાની જવાબદારી નાગરિકોની છે. આજે પ્રકૃતિના નિકંદનના કારણે કુદરતી આપદા વધી છે તેમજ માતા-પિતાનું સન્માન ન જળવાતા વૃધ્ધાશ્રમ પણ વધી રહ્યા છે. ત્યારે શિક્ષિત યુવાઓએ આ બંનેનું જતન કરીને પોતાની જવાબદારીનું વહન કરવું જરૂરી છે. ભૌતિકવાદના રસ્તે જીવનમૂલ્યોને જાળવી રાખી યુવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, કર્તવ્યભાવનાને આદર્શરૂપ ગણી વિદ્યાર્થીઓને ભારતના વિકાસમાં આવી જ કર્તવ્યનિષ્ઠા દર્શાવવા જણાવ્યું હતું. રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિકાસના પથ પર દોડી રહ્યું છે. ત્યારે સમર્થ – આત્મનિર્ભર ભારત બનાવવા દરેક નાગરિકે સ્વદેશી તરફ પાછા વળવું પડશે. તેમણે ઉપસ્થિતોને વિદેશી વસ્તુઓને ત્યાગીને સ્વદેશીની ખરીદીને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. યુવાઓને તેમણે બ્રાન્ડની માનસિક ગુલામીથી મુક્ત બનીને સ્વદેશી અપનાવી દેશપ્રેમ જાગૃત કરવા કટિબધ્ધ બનવા હાકલ કરી હતી.

40 ગોલ્ડ મેડાલિસ્ટોને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા

આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આજે ડિગ્રી મેળવવાની સાથે પર્યાવરણ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિને અપનાવી છાત્રોએ અર્જિત કરેલા જ્ઞાનને સમાજમાં જરૂરીયાતમંદ વર્ગ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમણે રાસાયણિક ખેતીના વધતા જતાં વ્યાપથી આરોગ્ય અને પ્રકૃતિને થયેલા નુકસાન અંગે જણાવીને યુવાઓને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સંકલ્પબધ્ધ થવા અપીલ કરી હતી. દીક્ષાંત સમારોહમાં 40 ગોલ્ડ મેડાલિસ્ટોને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પીએચડી થયેલા 29 છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસકામોની છણાવટ સાથે યુનિવસિર્ટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, મોલ, જીમ, કાફેટેરીયા વગેરેના નિમાર્ણ તથા પ્રગતિ હેઠળના વિકાસકામો અંગે વગેરે માહિતી પૂરી પાડી હતી. તેમણે કચ્છ યુનિવર્સિટીને ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યકત કરી હતી.

  • Follow us on: