વડોદરાના કરજણ નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા કંડારી ગામ પાસે ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. આ હાઇવે નજીક આવેલ માનવ કેન્દ્ર અને સ્વામિનારાયણ ગુરુકુલ જેવી શાળાઓમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. આ સ્થળ પર જ્યાં જુઓ ત્યાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે.


હાઇવે પર ધૂળની ડમરીઓને લઈ સ્કૂલમાં ધૂળનું સામ્રાજ્ય

ભારે વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળ સીધી શાળાના વર્ગખંડો અને મેદાનોમાં પ્રવેશી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ વારંવાર બીમાર પડી રહ્યા છે. શ્વસનતંત્રને લગતી બીમારીઓ અને આંખની બળતરા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ ઉપરાંત રસ્તાની આજુબાજુના છોડ અને વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા છે. જે પર્યાવરણ માટે પણ હાનિકારક છે.

સ્કૂલના સંચાલકો અને વિધાર્થીઓને ભારે મુશ્કેલી

શાળા સંચાલકોએ આ સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને આરોગ્ય જોખમમાં મુકાયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ. રોડ પર પાણીનો છંટકાવ કરવો, ધૂળ ઉડતી અટકાવવા માટેના યોગ્ય પગલાં લેવા અને હાઇવેના સમારકામ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બન્યું છે.


  • Follow us on: