ખેડા જિલ્લાના ધરોડા ગામ નજીક સાબરમતી નદીના ઘોડાપૂરમાં ફસાયેલા ત્રણ વૃદ્ધ વ્યક્તિઓને ભારતીય વાયુસેના (IAF) દ્વારા હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઝડપી માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) મિશનએ પૂર જેવી પરિસ્થિતિમાં વાયુસેનાની સજ્જતા અને પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરી છે.


સાબરમતી નદીના ઘોડાપુરમાં ફસાયેલા ત્રણ વૃદ્ધનું રેસ્ક્યુ

સાબરમતી નદીમાં અચાનક પાણીનું સ્તર વધતા ત્રણ વૃદ્ધ વ્યક્તિઓ નદીના પટમાં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમને બહાર કાઢવાનું શક્ય નહોતું. સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે વાયુસેનાની મદદ માંગવામાં આવી હતી. વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને Mi-17 V5 હેલિકોપ્ટરને રેસ્ક્યુ મિશન માટે રવાના કર્યું હતું.

એરફોર્સે Mi-17 હેલિકોપ્ટરથી કર્યું રેસ્ક્યુ

હેલિકોપ્ટરના ક્રૂએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કુશળતાપૂર્વક કામગીરી કરીને એક પછી એક ત્રણેય વૃદ્ધોને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરમાં લિફ્ટ કર્યા હતા અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. વાયુસેનાના આ સફળ ઓપરેશનની સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. આ પ્રકારના કુદરતી સંકટના સમયે ભારતીય વાયુસેનાની આ કામગીરી જીવન બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે.


  • Follow us on: