કચ્છના અંજાર તાલુકામાં આવેલી સતાપર ગૌશાળાના ગોડાઉનમાં એક ગમખ્વાર આગની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના ફટાકડાના કારણે સર્જાઈ હતી. ગોડાઉનમાં રાખવામાં આવેલો લગભગ 900 મણ (આશરે 18,000 કિલો) ઘાસચારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી ગૌશાળાને મોટું નુકસાન થયું છે. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પશુધન માટેનો અગત્યનો ખોરાક નાશ પામતા ગૌશાળાની વ્યવસ્થા પર માઠી અસર પડી છે. અંજાર વિસ્તારમાં આ ઘટનાને પગલે ચિંતાનો માહોલ છે, કારણ કે તહેવારોના સમયમાં ફટાકડાની બેદરકારી જીવલેણ બની શકે છે.
ઘાસના જથ્થામાં ફટાકડો પડતા આગે લીધું વિકરાળ સ્વરૂપ
આગ લાગવાનું ચોક્કસ કારણ ફટાકડો હોવાનું સામે આવ્યું છે. સતાપર ગૌશાળાના ગોડાઉન નજીક ફટાકડો ફોડવામાં આવ્યો હતો, અને તેનો એક તણખો કે ટુકડો સીધો ઘાસચારાના વિશાળ જથ્થા પર પડતાં આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સમગ્ર ઘટના ગોડાઉન નજીક લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે, જે આગ લાગવાનું કારણ સાબિત કરે છે. ઘાસચારો સૂકો હોવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે ગૌશાળાના કર્મચારીઓ કે આસપાસના લોકો તેને કાબૂમાં લઈ શકે તે પહેલાં જ મોટો ભાગ બળી ગયો હતો.













