વર્ષ 2026ના પ્રારંભે ગુજરાતની ધરતી ફરી એકવાર ઇતિહાસના પડઘા સાંભળશે. આગામી 3 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન, ભારતના વિવિધ રાજ્યોના 15 નિવૃત્ત સેેના અધિકારીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 405 કિલોમીટર લાંબી પદયાત્રા કરશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય કોઈ રાજકીય પ્રચાર નથી, પરંતુ મહાત્મા ગાંધીજીના આત્મનિર્ભરતા અને શારીરિક શિસ્તના મૂલ્યોને જીવંત અનુભવવાનો છે. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીના નેતૃત્વમાં આ સમૂહ ગાંધીજીએ 1930માં જે માર્ગ પર મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, તે જ ગામો અને શહેરોમાંથી પસાર થશે. 62 વર્ષથી વધુની વય ધરાવતા આ યાત્રિકો માટે આ માત્ર શારીરિક કસોટી નથી, પણ આત્મમંથનનો એક માર્ગ છે.
“આગામી પેઢીઓ કદાચ વિશ્વાસ પણ નહીં કરે કે આવા માનવી ક્યારેય આ ધરતી પર માંસ અને લોહી સાથે ચાલ્યા હતા.” અલ્બર્ટ આઈન્સ્ટાઇન
વર્ષ 2026નું સ્વાગત કરવા માટે 62 વર્ષથી વધુ વયના વરિષ્ઠ સેના અધિકારીઓનો એક સમૂહ દાંડી માર્ગ પર 400 કિમીથી વધુ પગપાળા ચાલવાનું કેમ પસંદ કરે? આ પ્રશ્ન સહજ રીતે મનમાં ઉદ્ભવે. તેનો જવાબ ન તો નાટકીય છે, ન તો કોઈ વીરસાહસથી ભરેલો—એ તો બસ માનવીય છે.
3 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2026 દરમિયાન, ભારતના વિવિધ ખુણાઓમાંથી આવેલા સમાન વિચારધારાવાળા નાગરિકો—જેમાં નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે, તેઓ દાંડી પથ યાત્રા પર નીકળશે. આ યાત્રા મહાત્મા ગાંધીજીની 1930ની ઐતિહાસિક દાંડી કૂચને ફરીથી અનુભવી શકવાના ઉદ્દેશથી સાબરમતી આશ્રમથી દાંડી સુધી કરવામાં આવશે. અંદાજે 405 કિલોમીટર લાંબી આ યાત્રા એ તમામ ગામો અને શહેરોમાંથી પસાર થશે જ્યાંથી ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ દરમિયાન પગપાળા મુસાફરી કરી હતી.
આ યાત્રા ઇતિહાસને ફરી રચવાનો પ્રયત્ન નથી, ન તો તે કોઈ રાજકીય કે વિચારધારાત્મક સંદેશથી પ્રેરિત છે. યાત્રિકો ખુદ સ્વીકારે છે કે, તેમની પાસે ગાંધીજી જેવી શાંતિ, નૈતિક મહાનતા કે એકલવ્ય ધ્યેય નથી. ગાંધીજીએ તે લાંબી યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે શું અનુભવું હશે, તેનો થોડો વ્યક્તિગત અનુભવ મેળવવાનો તેમનો સરળ આશય છે.
મહાત્મા ગાંધીજીએ કહેલું છે, તમે જે બદલાવ દુનિયામાં જોવા માંગો છો, એ પહેલા તમે પોતે બનો. આ યાત્રા દ્વારા યાત્રિકો આ વિચારને ભાષણો કે નારા દ્વારા નહીં, પરંતુ જીવંત અનુભૂતિ દ્વારા આત્મસાત કરવાનો પ્રયાસ કરે છે. ચાલીને, થાક સહન કરીને, નિરીક્ષણ કરીને અને આત્મમંથન કરીને.
દાંડી માર્ગ માત્ર શારીરિક યાત્રા નથી; તે મિતવ્યયિતા અને આત્મચિંતન માટેનું આમંત્રણ છે. તડકો, ધૂળ, થાક અને અસ્વસ્થતા અનુભવીને જીવનની ગતિ ધીમી કરવાની તક આપે છે. ગામડાંમાંથી પસાર થતી આ યાત્રા ભારતને તેની સહજ શાંતિમાં દર્શાવે છે. દૈનિક જીવનમાં વ્યસ્ત લોકો, શાંતિપૂર્વક ચાલતી પરંપરાઓ અને શહેરી જીવનથી સાવ અલગ ગતિએ વહેતો સમય.
યાત્રિકોને આશા છે કે, આ અનુભવ તેમને ગાંધીયન ભાવનાને માત્ર દૂરથી પ્રશંસા કરવાની બદલે તેને અનુભવી શકવામાં મદદ કરશે. આજે વારંવાર ઉલ્લેખ થતી સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત અને ફિટ ઈન્ડિયા જેવી કલ્પનાઓ 1930 જેટલી જ આજેય પ્રાસંગિક છે, અને કદાચ તે અભિયાન તરીકે નહીં, પરંતુ દૈનિક જીવનની શિસ્ત રૂપે વધુ સારી રીતે સમજી શકાય.
મહાત્મા ગાંધીજી જ્યાં રહ્યા ત્યાં ચાલ્યા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ભારત
નોંધનીય છે કે, ગાંધીજી પોતાના 78 વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે અંદાજે 79,000 કિલોમીટર પગપાળા ચાલ્યા હોવાનું માનવામાં આવે છે. આ રીતે તેઓ માત્ર નૈતિક બળ જ નહીં, પરંતુ આજના શબ્દોમાં કહીએ તો ‘ફિટ ઈન્ડિયા’નું જીવતું પ્રતિક પણ હતા. આ યાત્રા વર્ષોથી સંજાતું સપનું છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને સરોજિની નાયડુ દ્વારા કલ્પાયેલ ઐતિહાસિક માર્ગ પર સુચિત આયોજન સાથે કરવામાં આવી છે. સમગ્ર દેશના આશરે 15 યાત્રિકો અમદાવાદમાં ભેગા થઈ યાત્રાની શરૂઆત કરશે, જ્યારે કેટલાક યાત્રિકો માર્ગમાં વિવિધ તબક્કે જોડાશે.
આરોગ્ય અને સુરક્ષા માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. યાત્રિકોએ મહીનાઓથી તૈયારી કરી છે, સાથે પ્રાથમિક સારવાર સામગ્રી અને જરૂરી દવાઓ રહેશે, તેમજ જરૂર પડ્યે સ્થાનિક સરકારી આરોગ્ય સુવિધાઓનો સહારો લેવાશે. શક્ય હોય ત્યાં યાત્રિકો દાંડી પથ યાત્રી નિવાસોમાં રોકાશે. તે તમામ સ્થળોએ જ્યાં ગાંધીજીએ પોતાની 24 દિવસની દાંડી યાત્રા દરમિયાન વિરામ લીધો હતો, જેમાં નડિયાદનું સંત્રામ મંદિર પણ સમાવિષ્ટ છે.
યાત્રાનો એક મહત્વપૂર્ણ પાસું સ્થાનિક સમુદાય સાથે સંવાદ હશે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તથા ગામના આગેવાનો સાથે. આ સંવાદ પ્રવચન નહીં, પરંતુ સંવાદરૂપ હશે—વધુ સાંભળવાનું અને ઓછું બોલવાનું. જેથી પેઢીઓ વચ્ચે પરસ્પર સમજ વિકાસ પામે.
જ્યારે ઘણા લોકો આ વયે ગતિ ધીમી કરે છે, ત્યારે આ સમૂહ અલગ ભાવનાથી આગળ વધે છે. આ વાત પુનઃસ્થાપિત કરવા કે જિજ્ઞાસા, શીખવાની ભૂખ અને અર્થસભર પડકારો સ્વીકારવાની તૈયારી વય સાથે ઓછી થતી નથી. આવી યાત્રા શરૂ કરવા માટે અસાધારણ હોવાની જરૂર નથી. માત્ર પ્રથમ પગલું ભરવાની ઇચ્છા હોવી જરૂરી છે.
આ રીતે, યાત્રિકોને આશા છે કે તેમનો શાંત પ્રયાસ અન્ય લોકોને પણ—તેમની પોતાની રીતે અને ગતિએ—સહનશક્તિ, જોડાણ અને હેતુને ફરી શોધવા પ્રેરણા આપશે; ક્યારેક તો માત્ર સાથે ચાલવાની સરળ પરંતુ ગહન ક્રિયા દ્વારા.
લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી લેખક નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારી છે અને દાંડી પથ યાત્રાના ભાગીદાર છે.
દાંડી પથ યાત્રાના યાત્રિકોની યાદી
- કર્નલ જયચંદ્રન નાયર – પુણે
- લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી – લખનઉ
- બ્રિગેડિયર તુષાર મિશ્રા – ભુવનેશ્વર
- બ્રિગેડિયર એસ. કે. ચતુર્વેદી – દેહરાદૂન
- લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સુચિન્દ્ર કુમાર – બેંગલુરુ
- કર્નલ એમ. જે. એસ. પાઠાણિયા – જમ્મુ
- લેફ્ટનન્ટ કર્નલ વી. શ્રીનિવાસન – બેંગલુરુ
- બ્રિગેડિયર ગિરિશ જોશી – નોઇડા, ઉત્તર પ્રદેશ
- કર્નલ આર. કે. સિંહ – પુણે
- કર્નલ લલિત ગૈરોલા – હૈદરાબાદ
- કર્નલ સુભાષ ચંદ – દિલ્હી
- લેફ્ટનન્ટ જનરલ પી. એન. અનંતનારાયણન – ચેન્નઈ
- મેજર જનરલ એન. ડી. પ્રસાદ – હૈદરાબાદ
- કર્નલ ગિરિશ ભંડારી – નોઇડા, ઉત્તર પ્રદેશ
- શ્રી સેંગાથિર સેલ્વરાજ (આઈપીએસ) – ચેન્નઈ
- મેજર આશિષ ચઢા – ગુડગાંવ, હરિયાણા
આ પણ વાંચો - Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...