અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં આવેલી 7 જેટલી પ્રાયમરી શાળાઓને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ શાળાઓ પાસે બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન ન હોવાથી તેમજ લાંબા સમયથી ઈમ્પેક્ટ ફી ન ભરી હોવાના કારણે તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. વારંવારની નોટિસ છતાં નિયમોનું પાલન ન કરનાર શાળાઓ સામે કોર્પોરેશનની લાલ આંખને કારણે અન્ય શાળા સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો આગામી સમયમાં પણ આ શાળાઓ જરૂરી પરવાનગીઓ મેળવવામાં નિષ્ફળ રહેશે, તો તેમની કાયમી માન્યતા રદ કરવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે.
તંત્રની લાલ આંખ
બીજી તરફ, અચાનક શાળાઓ સીલ થવાને કારણે હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તાકીદની સૂચના આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓની શાળાઓ સીલ થઈ છે, તેમનું શિક્ષણ કાર્ય ન અટકે તે માટે તાત્કાલિક ધોરણે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે. વાલીઓમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે રીતે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવે.













