અમદાવાદ શહેરમાં સુભાષબ્રિજ બાદ હવે વધુ એક મહત્વનો બ્રિજ જોખમી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. શહેરના વ્યસ્ત એવા સરદાર બ્રિજ પરથી પસાર થવું હવે રાહદારીઓ માટે જોખમ સમાન બન્યું છે. બ્રિજ પર આવેલી ફૂટપાથની બંને સાઈડનો ભાગ અચાનક બેસી ગયો છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ જ બ્રિજ પર સળિયા દેખાવા જેવી સમસ્યાઓ સર્જાઈ હતી, ત્યારે તંત્ર દ્વારા ઉપરછલ્લું કામ કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર બ્રિજની ફૂટપાથ બેસી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
અમદાવાદના સરદાર બ્રિજ પર મોતના ખાડા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને 'બ્રિજ સિટી' તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. સુભાષબ્રિજમાં ખામીઓ સામે આવ્યા બાદ હવે સરદાર બ્રિજની આ સ્થિતિએ રાહદારીઓની સુરક્ષા પર સવાલિયા ચિહ્ન મૂક્યું છે. ફૂટપાથ બેસી જવાથી લોકોએ મુખ્ય રોડ પર ચાલવા મજબૂર બનવું પડે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર વહેલી તકે આ બ્રિજનું મજબૂત અને કાયમી સમારકામ હાથ ધરે.













