અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વરી નગર સોસાયટીમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઉઠે. એક જનેતાથી પોતાની જ ત્રણ મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઇ હતી અને ઘટના બાદ ગભરાયેલી માતાએ દીકરી ગુમ થઈ હોવાનું નાટક કર્યું હતું, પરંતુ પોલીસની સઘન પૂછપરછમાં સત્ય બહાર આવતા માતા મોનિકા મકવાણાની ધરપકડ કરવામાં આવી છે.


શું હતી સમગ્ર ઘટના?

બનાવની વિગત મુજબ, 27મી માર્ચના રોજ જ્યારે ઘરના અન્ય સભ્યો બહાર હતા, ત્યારે મોનિકાએ પાણીની ટાંકી ભરવા માટે મોટર ચાલુ કરી હતી. મોનિકાના જણાવ્યા મુજબ, તે સમયે તેનું બેલેન્સ બગડતા કેડમાં રહેલી બાળકી ટાંકીમાં પડી ગઈ હતી. જોકે, બાળકીને બચાવવાને બદલે સાસુ-સસરા અને પતિના ડરથી તેણે ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર તપેલું મૂકી દીધું હતું. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેણે દીકરી ગુમ હોવાનું જણાવી શોધખોળનું નાટક કર્યું. અંતે પરિવારે ટાંકી તપાસતા માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ

અમરાઈવાડી પીઆઈ આર.બી. ચાવડાના જણાવ્યા મુજબ, મોનિકાને તેના સાસુ-સસરા અને પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આ કલેહ અને બાળકી ટાંકીમાં પડી ગયા બાદ ઉભા થયેલા ડરને કારણે તેણે આ ઘાતકી પગલું ભર્યું હતું. મોનિકાના પતિ દીપક મકવાણાએ પોતાની પત્ની વિરુદ્ધ સાઅપરાધ માનવવધની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. 10 વર્ષના લગ્નજીવન બાદ આ દંપતીને એક 7 વર્ષની દીકરી અને આ 3 માસની બાળકી હતી.

મોતનું સાચું કારણ જાણવા તજવીજ

હાલ પોલીસે બાળકીનું પીએમ કરાવી મોતનું સાચું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. શું ખરેખર આ અકસ્માત હતો કે પછી કોઈ ઊંડા કાવતરાનો ભાગ, તે પીએમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો----   Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે

  • Follow us on: