આવતીકાલે અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહીને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર્સ સાથે સીધો સંવાદ કરશે. આ બેઠકમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે. સોશિયલ મીડિયાના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મની શક્તિને ઓળખીને, સરકારની યોજનાઓ અને પક્ષની વિચારધારા યુવાનો સુધી વધુ અસરકારક રીતે પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.
સરકારની સિદ્ધિઓ
આ સંવાદનો મુખ્ય વિષય તાજેતરમાં રજૂ થયેલું કેન્દ્રીય બજેટ અને યુવાનોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ રહેશે. ભાજપના નેતાઓ ઈનફ્લુએન્સર્સ સાથે બજેટની જોગવાઈઓ અને તેમાંથી યુવાનોને મળનારા લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરશે. આ કાર્યક્રમ દ્વારા ભાજપ યુવા પેઢી સાથે વધુ મજબૂત કનેક્ટ ઊભું કરવા માંગે છે, જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકહિતના મુદ્દાઓને વધુ વેગ મળી શકે. કર્ણાવતી ક્લબ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના નામી-અનામી ડિજિટલ ક્રિએટર્સ ભાગ લેશે.













