અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. સોલા રોડ પર આવેલા ‘આકાંક્ષા ફ્લેટ’માં માત્ર બે જ દિવસની અંદર ઝાડા-ઊલટીના સેંકડો કેસો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં પીવાની પાણીની લાઈન અને ગટરની લાઈન એકબીજા સાથે મિક્સ થઈ જવાના કારણે આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
350થી વધુ મકાનો આવેલા છે
આકાંક્ષા એપાર્ટમેન્ટમાં આશરે 350થી વધુ મકાનો આવેલા છે, જેમાં હજારો લોકો વસવાટ કરે છે. નળમાં આવી રહેલા પ્રદૂષિત અને ગંદા પાણીનો વપરાશ કરવાના કારણે સોસાયટીના અબાલ-વૃદ્ધ સૌ કોઈ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં જ સોસાયટીમાં અંદાજે 400 થી 500 જેટલા લોકોને ઝાડા-ઊલટીની સીધી અસર થઈ છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ ઉભરાઈ ગયા છે.













