આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છે તેનો પુરાવો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક શખ્સે પોતાની માનતા પૂરી કરવાના બહાને અબોલ પશુની ક્રૂરતાપૂર્વક બલિ ચઢાવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને વિવાદ જાગ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.


શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી પ્રમાણે બાપુનગર વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની કોઈ ધાર્મિક માનતા પૂરી થઈ હોવાનું માનીને, તેના ઘરની અંદર જ એક પશુની બલિ આપવાનું કૃત્ય કર્યું હતું. આ કૃત્ય અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતની જાણ આસપાસના લોકોને થતા મામલો ગરમાયો હતો. પશુ ક્રૂરતાના આ કિસ્સાને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.

બલિ આપનાર પશુ માલિકની કરાઇ ધરપકડ

આ ભયાનક ઘટનાની જાણ થતા જ એક જીવદયા પ્રેમી આગળ આવ્યા હતા અને તેમણે તુરંત બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે તેમણે પશુ માલિક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક અસરથી પગલાં ભર્યા હતા. બાપુનગર પોલીસે પશુની બલિ આપનાર પશુ માલિકની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે કે અન્ય કોઈની ઉશ્કેરણી કે સંડોવણી પણ છે.

પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો

ભારતીય કાયદા મુજબ જાહેરમાં કે ખાનગીમાં આ પ્રકારે પશુઓની બલિ આપવી એ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો બને છે. બાપુનગરની આ ઘટનાએ લોકોમાં જાગૃતિની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ કરી છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા ઓળંગવી ભારે પડી શકે છે.

આ પણ વાંચોઃ

  • Follow us on: