અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ૩૫ વર્ષ પહેલા બનેલી એક સંભવિત હત્યાની ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મળેલી એક સચોટ બાતમીના આધારે વટવાના કુંતુબનગરમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં જેસીબી મશીન અને એફએસએલ (FSL) ની ટીમ સાથે રાખી ખોદકામ શરૂ કર્યું છે. પોલીસને આશંકા છે કે વર્ષ 1992માં એક યુવતીની હત્યા કરી તેના મૃતદેહને અહીંના ખાળકૂવામાં દાટી દેવામાં આવ્યો હતો.


તાંત્રિકો પાસે ભટકનાર પરિવાર હજુ પણ અજાણ

ચોંકાવનારી વાત એ છે કે, જે યુવતીની હત્યા થઈ હોવાની આશંકા છે, તેના પરિવારજનો છેલ્લા 3 દાયકાથી તેને શોધી રહ્યા છે. દીકરી ક્યાં ગઈ તે જાણવા માટે પરિવારે અનેક તાંત્રિકોના ઉંબરા પણ ઘસ્યા હતા, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.પી. જેબલીયાને બાતમી મળી કે યુવતીની હત્યા થઈ ચૂકી છે અને તેને કુંતુબનગરના પ્લોટમાં દટાયેલી છે. ખોદકામ દરમિયાન માનવ શરીરના કેટલાક અવશેષો અને હાડકાં મળી આવ્યા છે, જેને ડીએનએ (DNA) ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

રહસ્યમય વ્યક્તિ અને 'જુમ્મેરાત'નું કનેક્શન

તપાસ દરમિયાન પાડોશમાં રહેતી એક મહિલાએ ક્રાઈમ બ્રાન્ચને અત્યંત મહત્વની વિગત આપી છે. મહિલાના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી તે જોઈ રહ્યા છે કે દર જુમ્મેરાતે (ગુરુવારે) એક અજાણ્યો શખ્સ આ નિર્જન પ્લોટ પર આવે છે અને ત્યાં દીવા-બત્તી કરી દુઆ માંગે છે. આ ખુલાસા બાદ પોલીસને શંકા છે કે આ વ્યક્તિ કાં તો હત્યાનો સાક્ષી છે અથવા તો પશ્ચાતાપના ભાવ સાથે અહીં આવે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ પ્લોટના જૂના માલિકો અને આ રહસ્યમય વ્યક્તિની શોધખોળ કરી રહી છે. જો આ કેસ ઉકેલાશે તો તે અમદાવાદના ઇતિહાસનો સૌથી જૂનો અને રહસ્યમય કેસ સાબિત થશે.


આ પણ વાંચો---     Ahmedabad : ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, કીર્તિદાન ગઢવી અને SP રાજદીપસિંહ ઝાલાને નોટિસ, જાણો શું છે મામલો?

  • Follow us on: