ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને પાણીપુરીની ગુણવત્તા અને હાઈજીન જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેરની પાણીપુરીની લારીઓ પર QR કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો સીધો જ પોતાનો પ્રતિભાવ આપી શકશે.
ગ્રાહકોના ફીડબેક પર થશે એક્શન
AMCના આરોગ્ય અધિકારી તેજસ શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા હાઈજીન મેન્ટેન કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ખાણીપીણીની લારીઓ પર QR કોડ લગાવવાની સિસ્ટમ અમલી બનશે. આ સિસ્ટમની શરૂઆત સૌથી પહેલા પાણીપુરીની લારીઓથી કરવામાં આવશે. ગ્રાહકો આ QR કોડ સ્કેન કરીને લારી પરની સ્વચ્છતા અને ખાવાની ગુણવત્તા વિશે રેટિંગ કે ફીડબેક આપી શકશે. જે લારીઓ વિશે નકારાત્મક ફીડબેક મળશે, તેની સામે તંત્ર કડક કાર્યવાહી કરશે.













