અમદાવાદમાં હાલ બદલાતા હવામાન અને બેવડી ઋતુને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો આવતા શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા માત્ર એક સપ્તાહમાં 13,446 ઓપીડી (OPD) નોંધાઈ છે.


મિશ્ર ઋતુને કારણે રોગચાળો વધ્યો

મિશ્ર ઋતુને કારણે ઇન્ફેક્શન ફેલાતા તાવ અને શરદીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ (Immunity) સારી હોય છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ અન્ય લોકો માટે આ ઇન્ફેક્શન લાંબુ ચાલે છે. મચ્છરજન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે.

સોલા સિવિલમાં નોંધાયેલા આંકડા 

સોલા સિવિલમાં નોંધાયેલા આંકડા મુજબ, રોજના 20થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં 72 સેમ્પલમાંથી 5 કેસ પોઝિટિવ આવતા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. મેલેરિયાના રોજના 30થી વધુ ઓપીડી કેસ નોંધાય છે. 480 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. પાણીજન્ય રોગ ટાઇફોઇડના પણ 22 દર્દીઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા, ખોરાકમાં સાવચેતી રાખવા અને મચ્છરોથી બચવા માટે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: