અમદાવાદના સુભાષ બ્રિજમાં (Subhash Bridge) જણાયેલી ગંભીર ક્ષતિઓ અને તિરાડોની ચકાસણી માટે દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ – IIT મુંબઈ, IIT દિલ્હી અને IIT રૂડકીના નિષ્ણાતોની એક સંયુક્ત ટીમ સુભાષ બ્રિજ ખાતે પહોંચી છે. આ ટીમો દ્વારા બ્રિજની ઉચ્ચ સ્તરીય ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નિષ્ણાતોની આ ટીમ બ્રિજની મુખ્ય સંરચનામાં રહેલી ખામીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે, જેથી કરીને બ્રિજની સલામતી અને ટકાઉપણું અંગે કોઈ સમાધાન ન થાય. આ ઇન્સ્પેક્શનની પ્રક્રિયામાં બ્રિજના ઉપરના ભાગે પડેલી તિરાડો તેમજ નીચેના હિસ્સાની પણ વિસ્તૃત ચકાસણી કરવામાં આવી રહી છે.
રિપોર્ટના આધારે AMC લેશે મોટો નિર્ણય
IIT ટીમો દ્વારા સમગ્ર બ્રિજનું સંપૂર્ણ નિરીક્ષણ અને મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ આ ટીમો દ્વારા તૈયાર કરવામાં આવેલો વિગતવાર રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશનરને સુપરત કરવામાં આવશે. આ રિપોર્ટમાં બ્રિજની હાલની સ્થિતિ, ક્ષતિઓનું પ્રમાણ અને તેને સુધારવા માટેના જરૂરી પગલાં અંગેના ટેકનિકલ સૂચનો હશે. આ ટેકનિકલ રિપોર્ટને ધ્યાનમાં લીધા બાદ જ AMC દ્વારા સુભાષ બ્રિજના ભવિષ્ય અંગેનો આગામી અને અંતિમ નિર્ણય લેવામાં આવશે.













