અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિ સંગીતનો એક વિરાટ અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં વસ્ત્રાપુરનો માહોલ સંપૂર્ણપણે રામમય બની ગયો હતો.
નામી કલાકારોના સૂરે રેલાવી ભક્તિની સરવાણી
આ ભક્તિ સંગીત સમારોહમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા પીરસી હતી. પ્રસિદ્ધ ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ અને લોક સાહિત્યકાર હકાભા ગઢવી સહિતના દિગ્ગજ કલાકારોએ ભજન અને લોકસાહિત્યના સૂર રેલાવ્યા હતા. કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી રામધૂન, હનુમાન ચાલીસા અને શિવધૂનના ગુંજતા સ્વરોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. શ્રોતાઓ ભક્તિના તાલે ઝૂમી ઉઠ્યા હતા.













