ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રૂ. 2000ની નોટો પરત મેળવવાની પ્રક્રિયા અંગે સૌથી મોટો ખુલાસો કર્યો છે. વર્ષ 2023માં જ્યારે આ હાઈ-વેલ્યુ નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં મોટાભાગની નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. RBIના તાજા રિપોર્ટ અનુસાર, 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ રૂ. 2000ની નોટોના 98.41 ટકા નોટો પરત જમા થઈ ગઈ છે. જોકે, હજુ પણ રૂ. 5,699 કરોડની કિંમતની ગુલાબી નોટો લોકો પાસે હોવાનું સામે આવ્યું છે, જે હજુ સુધી સેન્ટ્રલ બેંક સુધી પહોંચી નથી.
RBI લેટેસ્ટ અપડેટ
આ આંકડા જાહેર થતા જ ફરી એકવાર ચર્ચા જાગી છે કે આટલી મોટી રકમ હજુ પણ લોકો પાસે કયા સ્વરૂપે સંગ્રહિત છે. ઉલ્લેખનીય છે કે 19 મે, 2023ના રોજ જ્યારે રૂ. 2000ની નોટો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લીન નોટ પોલિસીનો અમલ કરવાનો હતો. હાલમાં સામાન્ય બેંકોમાં આ નોટો જમા કરાવવાની સુવિધા બંધ છે, પરંતુ લોકો RBIની પ્રાદેશિક કચેરીઓ પર જઈને આ નોટો બદલાવી શકે છે અથવા પોતાના ખાતામાં જમા કરાવી શકે છે. રૂ. 5,699 કરોડ જેવી જંગી રકમ હજુ પણ બહાર હોવી તે અર્થતંત્ર માટે એક મહત્વનો વિષય છે.













