છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા વ્યસ્ત ઇન્દિરા બ્રિજ પર મોટી તિરાડો પડી હોવાના સમાચાર વાયરલ થયા હતા. આ સમાચારોને કારણે વાહનચાલકોમાં ફાળ પડી હતી. જોકે, હવે પાટનગર યોજના વિભાગ દ્વારા આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરી જાહેર જનતાને આશ્વસ્ત કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવી
આ ગંભીર વિષયની નોંધ લેતા પાટનગર યોજના વિભાગ-3 ના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા બ્રિજની સંયુક્ત રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝમાં જે તિરાડો દર્શાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી અને ભ્રામક છે.













