અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાથરણાં વાળા મામલે અમદાવાદ મહાનગર પાલિકાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. જેના કારણે હવે ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ પર પ્રતિબંધ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં 'સ્ટેટસ ક્વો' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ સાથે ગુજરાત હાઈકોર્ટના 13મી માર્ચ 2026ના ચુકાદા પર રોક લગાવી છે.
અમદાવાદના ભદ્રમાં પાથરણાં પ્રતિબંધ યથાવત
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરીને આ ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદામાં ભદ્ર પ્લાઝામાં વેન્ડિંગ સ્પેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયબદ્ધ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ મહાનગર પાલિકાના અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી.













