રેલવે સ્ટેશનો સામાન્ય રીતે મુસાફરોની અવરજવર માટે હોય છે, પરંતુ વિરમગામ રેલવે સ્ટેશન પર અત્યારે કંઈક જુદું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અહીં રખડતા પશુઓ, ખાસ કરીને આખલાઓનો ભારે ત્રાસ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ટીકીટ બારી અને પ્લેટફોર્મ પર આખલાનો અડ્ડો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આખલાઓ નિર્ભય બનીને રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે અને પ્લેટફોર્મ પર રખડી રહ્યા છે. મુસાફરો જ્યાં ટ્રેનની રાહ જોઈને ઉભા હોય છે, ત્યાં જ આ પશુઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે. આ સ્થિતિ જોઈને મુસાફરોમાં પણ રમુજ સાથે ડરનો માહોલ છે કે, "લ્યો બોલો, હવે આ આખલાને ક્યાં જવું છે?"













