બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ અને મંદિર ચોરીના ગુનાઓને ઉકેલવામાં LCB પાલનપુરને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા 1252 ગ્રામ ચાંદીના દાગીના, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,86,631 છે, તે મુદ્દામાલ સાથે ત્રણ રીઢા તસ્કરોની ધરપકડ કરી લેવામાં આવી છે.


ચોરીની મોડસ ઓપરેન્ડી અને ધરપકડ

સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અનુસાર, LCB ઇન્સ્પેક્ટર એ. વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે સરદારભાઈ ભારમાભાઈ ડુંગાચીયાને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં અન્ય સાથીદારો બાબુભાઈ કાલાભાઈ અંગારી અને ભીમાભાઈ માનાભાઈ ડુંગાચીયાના નામ ખુલ્યા હતા.

કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો

આ ટોળકીની પૂછપરછમાં અંબાજી ઉપરાંત ઈડર (સાબરકાંઠા) અને રાજસ્થાનના દાનબોરા ગામે થયેલી ચોરીના ગુનાઓની પણ કબૂલાત કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના 15 જેટલા અલગ-અલગ પ્રકારના ચાંદીના દાગીના કબ્જે કર્યા છે, જેમાં ચાંદીના કડા, ઝાંઝરી, પાયલ અને સિક્કાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Ambaji: અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ત્રિદિવસીય મહોત્સવ માટે બેઠક મળી


  • Follow us on: