અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલી ભેરાઇ ચોકડી પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને મોપેડ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો, જેના કારણે આ કેસમાં 'હિટ એન્ડ રન'ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અજાણ્યું વાહન અકસ્માત કરી નાસી છૂટ્યો
મૃતક વૃદ્ધની ઓળખ ત્રિકમભાઈ લાખાભાઇ પરમાર તરીકે થઈ છે. તેઓ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધ પોતાના કામ અર્થે મોપેડ લઈને જઈ રહ્યા હતા ત્યારે ભેરાઇ ચોકડી પાસે કાળમુખા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રિકમભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.













