કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ હોટલ, મોલ, રહેણાંક વિસ્તાર, મલ્ટિપ્લેક્સ જગ્યાએ ખાસ ઝુંબેશ શરૂ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ હોટલ J D, આર. કે. કોમ્લેક્સ, વિદ્યાનગર, મોટાબજારમાં ભોઇરામાં પાણી ભરાયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરતા હોટલના સંચાલક પાસેથી રૂપિયા 10,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ હોટલના સંચાલકને ભોયરામાં જે પાણી ભરાઈ રહે છે.તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોય,તથા આજુબાજુના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય,આ જગ્યા ઉપર દિન ૨ માં તાત્કાલિક અસરથી સ્વચ્છતા કરવા માટે જણાવવામાં આવ્યું છે,અન્યથા મહાનગરપાલિકાના કાયદાની જોગવાઈને આધીન આગળની કાર્યવાહી કરવામાં આવશે.મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાણીપીણીના એકમો, હોટલ ખાતે સ્વચ્છતા રાખવામાં આવે તે ખૂબ જ જરૂર છે.મનપાના આરોગ્ય વિભાગની ઝુંબેશ ચાલુ રહેશે,તેમાં કોઈપણ જગ્યાએ સ્વચ્છતાનો અભાવ જોવા મળશે તો કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.













