અંજાર પોલીસ દ્વારા સેવાનો ઉત્તમ દાખલો બેસાડતા, ગુમ થયેલા મોબાઈલ અને ચોરીના ગુનામાં રિકવર કરાયેલા દાગીના તેના અસલી માલિકોને પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


પોલીસે 15 મોબાઈલ શોધી માલિકને પરત કર્યા

અંજાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી લાંબા સમયથી ગુમ થયેલા 15 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત, વિવિધ મંદિર ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં પોલીસે સઘન તપાસ કરીને આશરે રૂ.13 લાખની કિંમતનો મુદ્દામાલ (સોના-ચાંદીના દાગીના અને રોકડ) રિકવર કર્યો હતો. આ તમામ કિંમતી વસ્તુઓ મંત્રીશ્રીના હસ્તે જે-તે માલિકોને સુપ્રત કરવામાં આવી હતી.

13 લાખનો મુદામાલ માલિકને સુપ્રત કર્યો

આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, લોકોની પરસેવાની કમાણી જ્યારે તેમને પરત મળે છે ત્યારે પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. પોતાની ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુઓ પરત મળતા મૂળ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે અંજાર પોલીસનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે પોલીસ માત્ર ગુનેગારોને પકડવાનું જ નહીં, પણ નાગરિકોની અમાનત સુરક્ષિત રીતે પરત કરવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: