અરવલ્લી જિલ્લાના બાયડ ટાઉનહોલ ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન'ના પૂર્વ તૈયારી રૂપે આયોજિત કપડાં વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીએ ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.


111 યુગલો માટે પાનેતર અને શેરવાનીનું વિતરણ

આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 111 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવાના છે. કાર્યક્રમ દરમિયાન આ 111 દીકરીઓને સુંદર પાનેતર અને દીકરાઓને ભવ્ય શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને લગ્ન પ્રસંગના ખર્ચમાં રાહત આપી સામાજિક સમરસતા વધારવાનો છે.

અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટનું ભગીરથ કાર્ય

અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સામાજિક ઉત્થાનના કાર્યો કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ ચોથો સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ આયોજનમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર સર્વ સમાજના યુગલોને સ્થાન આપવામાં આવ્યું છે, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ગુજરાત સ્થાપના દિને એટલે કે 1 મેના રોજ જામશે ચોરી

આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ આગામી 1 મેના રોજ યોજાનાર છે. નોંધનીય છે કે, 1 મે એ ગુજરાત સ્થાપના દિવસ પણ છે, ત્યારે બાયડની ધરતી પર 111 યુગલો એકસાથે લગ્નગ્રંથિથી જોડાશે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Aravalli: સભામાં બાળકીએ વ્યક્ત કરી CM ના સન્માનની ઈચ્છા, મુખ્યમંત્રીએ દીકરીને સ્ટેજ પર તેડાવી જીત્યું દિલ


  • Follow us on: