અરવલ્લીમાં બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધૂળેટીની ઉજવણી સમયે જ ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. પાંચમા અને છઠ્ઠા ધોરણમાં ભણતા બે બાળકોના મોત થતાં સમગ્ર ગામમાં માતમ છવાયો છે.
બે બાળકો તળાવમાં ડૂબી જતાં મોતને ભેટ્યા
અરવલ્લીના માલપુરમાં પાંચમા અને છઠ્ઠા ધોરણમાં ભણતા બે બાળકો ધૂળેટીનો પર્વ હોવાથી તળાવમાં ન્હાવા માટે ગયા હતાં. રાયચંદ ડામોર અને જૈમિન ડામોર નામના બે બાળકો તળાવમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ આખું ગામ તળાવના કિનારે ઉમટી પડ્યું હતું. મોડાસા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. માલપુર પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતાં.












