બનાસકાંઠા જિલ્લાના દાંતામાં આવેલી એબેનેઝર સ્કૂલ વિવાદના ઘેરામાં આવી છે. આ શાળામાં કથિત રીતે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) હવે મેદાને ઉતર્યું છે. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ કરવામાં આવેલા હોબાળા બાદ, આજે VHP દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


પ્રાંત અધિકારીને આવેદનપત્ર

VHPના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓએ એકત્રિત થઈને શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી. ત્યારબાદ, મુખ્યમંત્રીને સંબોધીને દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી આવી ધાર્મિક પરિવર્તનની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તાળાબંધી અને આંદોલનની ચીમકી

વિશ્વ હિન્દુ પરિષદે આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં શાળામાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ બંધ નહીં કરવામાં આવે, તો સંગઠન દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવશે. વધુમાં, જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર દાંતા પંથકમાં ચર્ચા જાગી છે અને પોલીસ પ્રશાસન પણ સતર્ક બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: