બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે પર નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે. એક તરફ દિયોદર શહેરની અનેક સોસાયટીઓ છેલ્લા એક સપ્તાહથી પાણી માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ પાઇપલાઇન તૂટતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી.


કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી

દિયોદર રેલવે ઓવરબ્રિજથી ખીમાણા હાઈવે સર્કલ સુધી અત્યારે ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી વેળાએ જેસીબી કે અન્ય મશીનરીને કારણે નર્મદાની મુખ્ય પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. કોન્ટ્રાક્ટરની આ અસાવધાનીને લીધે પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું અને જોતજોતામાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

એક તરફ તંગી, બીજી તરફ વેડફાટ

દિયોદરની અનેક સોસાયટીઓમાં છેલ્લા સાત દિવસથી પાણીનો પુરવઠો ખોરવાયેલો છે. સ્થાનિક રહીશો પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે મુખ્ય લાઇન ફૂટતા લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં અને રસ્તા પર વહી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




તંત્ર દ્વારા આ પાઇપલાઇનનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને દિયોદર શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. હાલમાં પાઇપલાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને કારણે દિયોદરમાં પાણીની કટોકટી વધુ ઘેરી બનવાની શક્યતા છે.


આ પણ વાંચો - Banaskantha News : બનાસકાંઠાના વડગામે પતિએ ગળુ દબાબી પત્નીની કરી હત્યા, ખોટા વહેમની શંકાએ કરી હત્યા


  • Follow us on: