ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થયો હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયત કચેરીની બહાર ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ વણસતી જોઈ આમોદ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ગામમાં દોડી આવ્યો હતો.


કાગળ પર વિકાસ, જમીન પર શૂન્ય?

ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, વિકાસના નામે લાખો રૂપિયાના નાણાં ફાળવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં કામોની ગુણવત્તા અત્યંત નબળી છે અથવા તો કામો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે. પારદર્શિતાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આકરા સવાલો કર્યા છે કે, જો કામો નિયમ મુજબ થયા હોય તો તંત્ર દસ્તાવેજો રજૂ કરવામાં કેમ ખચકાય છે?

સરપંચના મૌનથી રહસ્ય ઘેરાયું

વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ સરપંચ પાસે ખુલાસો માંગ્યો હતો, પરંતુ સરપંચ મીડિયા સમક્ષ સીધો જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સરપંચના પતિએ મીડિયા સામે જે જવાબો આપ્યા તેનાથી ચર્ચા અને પ્રશ્નો વધુ ઘેરાયા છે. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગામમાં ભારે ચર્ચા જાગી છે.

તપાસની માગ

આછોદના નાગરિકો હવે એક જ માગ પર અડગ છે કે, આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે. કાગળ પરના વિકાસ અને જમીન પરની પરિસ્થિતિ વચ્ચેના તફાવતને લઈને હવે જિલ્લા વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો - Ankleshwar News: પેટ્રોલના પૈસા ન આપવા પડે તે માટે કાર ચાલકે કર્મચારીને કચડવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ



  • Follow us on: