ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થયો હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયત કચેરીની બહાર ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ વણસતી જોઈ આમોદ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ગામમાં દોડી આવ્યો હતો.
કાગળ પર વિકાસ, જમીન પર શૂન્ય?
ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, વિકાસના નામે લાખો રૂપિયાના નાણાં ફાળવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં કામોની ગુણવત્તા અત્યંત નબળી છે અથવા તો કામો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે. પારદર્શિતાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આકરા સવાલો કર્યા છે કે, જો કામો નિયમ મુજબ થયા હોય તો તંત્ર દસ્તાવેજો રજૂ કરવામાં કેમ ખચકાય છે?













