ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે સંદેશ ન્યૂઝ દ્વારા સતત અને સચોટ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના પગલે આખરે ઊંઘતું પાલિકા તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યૂઝની અસરને પગલે નગરપાલિકાએ શ્વાનોને પકડવાની અને તેમના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.


કૂતરાઓના આંતકથી લોકોમાં હતો ભયનો માહોલ

આમોદ નગરમાં રખડતા શ્વાનોએ અનેક માસૂમ બાળકો પર હુમલો કરી તેમને લોહીલુહાણ કર્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે બાળકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગતો હતો. રાત્રિના સમયે બાઈક ચાલકો પાછળ શ્વાનો દોડતા હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાતું હતું, પરંતુ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

અનેક બાળકો ઉપર શ્વાને હુમલા કર્યા હતા

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગેલી આમોદ નગરપાલિકાએ હવે રખડતા કૂતરાઓને પકડીને તેમનું રસીકરણ (Vaccination) શરૂ કર્યું છે. પાલિકાની આ કામગીરીથી નગરજનોએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે. લોકોનું કહેવું છે કે જો આ કામગીરી વહેલી કરવામાં આવી હોત તો અનેક બાળકોને ઈજાઓ પહોંચી ન હોત. હાલમાં પાલિકાની ટીમો નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને શ્વાનોને અંકુશમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: